ચંદીગઢ : હૈદરાબાદથી ઉડેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 108 માટે સાંજ રનવે પર ઉતર્યા બાદ પણ ડરામણી સાબિત થઈ હતી. વિમાન હજુ ચંદીગઢ એરપોર્ટ પર ટર્મિનલ તરફ જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક કેબિનની અંદર મુસાફરોએ ચીસાચીસ શરૂ કરી દીધી હતી. એક મુસાફરની ઉપરની કેબિનમાં રાખેલી બેગમાંથી ઘટ્ટ કાળો ધુમાડો નીકળતા વિમાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મુસાફરો હજુ સીટ બેલ્ટ ખોલીને ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ લાગેલી આ આગને કારણે થોડી ક્ષણો માટે વિમાનની અંદર અંધાધૂંધીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ અકસ્માતનું કારણ બેગમાં રાખેલી પાવર બેંક હતી, જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઇન્ડિગોના કેબિન ક્રૂએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો અને ધુમાડાને વધતો અટકાવ્યો હતો. પ્રોટોકોલ મુજબ, પાયલટે વિમાનને તાત્કાલિક સલામત સ્થળે ઉભું રાખ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ સભ્યો પણ સુરક્ષિત છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને વિમાનની સંપૂર્ણ ટેકનિકલ તપાસ બાદ જ તેને ફરી સેવામાં લેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર વિમાનમાં લિથિયમ-આયન બેટરી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાના જોખમો પર ચર્ચા જગાવી છે. ડીજીસીએના સૂત્રો મુજબ, પાવર બેંકમાં ઓવરહિટીંગ અથવા ઇન્ટરનલ ડેમેજને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગોની ટેકનિકલ ટીમ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. મુસાફરોને હાલ ટર્મિનલ પર પ્રાથમિક સારવાર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે એરલાઇન્સ સુરક્ષા નિયમો વધુ કડક બનાવે તેવી શક્યતા છે.
ઇન્ડિગો ફ્લાઇટ 6E 108: પાવર બેંકમાં આગ લાગવાથી વિમાનમાં અફડાતફડી મચી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.