ભાષાના મર્મ અને હૃદયના ધબકાર વચ્ચેનો જે સેતુ છે, તેનું નામ એટલે ‘કવિતા'. જ્યારે સામાન્ય શબ્દો પોતાની મર્યાદા ઓળંગે છે અને ભાવનાઓ લયબદ્ધ થઈને કાગળ પર ઉતરે છે, ત્યારે તે કેવળ સાહિત્ય નથી રહેતુ પણ માનવ આત્માનો પડઘો બની જાય છે. ૨૧ માર્ચ એટલે કે ‘વિશ્વ કવિતા દિવસ'ના આ અવસરે, ચાલો આપણે શબ્દોની એ અદભૂત દુનિયામાં ડોકિયું કરીએ, જ્યાં રાષ્ટ્રીય શાયર મેઘાણીની શૌર્યગાથાથી માંડીને આધુનિક મૌનની વાચા સુધીની સફર કંડારાયેલી છે. પ્રસ્તુત લેખ કવિતાના એ ઊંડાણ અને તેની અનિવાર્યતાને ઉજાગર કરે છે. વર્ષ ૨૦૨૬ માટે વિશ્વ કવિતા દિવસની થીમ‘‘કવિતાઃ સંસ્કળતિઓ વચ્ચેનો સેતુ'' રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય કવિતા દ્વારા વિવિધ ભાષાઓ અને સંસ્કળતિઓને એકબીજાની નજીક લાવવાનો અને માનવતાના સમાન ભાવોને અભિવ્યક્ત કરવાનો છે. યુનેસ્કો (UNESCO) દર વર્ષે આ દિવસની ઉજવણી દ્વારા કાવ્યકલાના માધ્યમથી વૈશ્વિક શાંતિ અને સમજદારી વધારવા પર ભાર મૂકે છે. કવિતા એ માત્ર કાગળ પર ઉતરેલા શબ્દો નથી, પણ માનવ આત્માનો અવાજ છે. માનવ સંવેદનાઓનો અરીસો છે. કવિતા એ ભાષાનું સૌથી શુદ્ધ અને સચોટ સ્વરૂપ છે. જ્યાં ગદ્ય થાકી જાય છે, ત્યાં પદ્યની શરૂઆત થાય છે. વિશ્વ કવિતા દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ કવિતા લેખન, વાચન અને પ્રકાશનને પ્રોત્સાહન આપવાનો તેમજ વિશ્વભરની વિભિન્ન ભાષાઓમાં કાવ્યકલાને જીવંત રાખવાનો છે. વ્યસ્ત અને ટેકનોલોજીથી ઘેરાયેલા આ યુગમાં કવિતા આપણને આપણી લાગણીઓ સાથે જોડે છે. પ્રેમ, કરુણા, વિરહ કે ક્રાંતિ, દરેક ભાવને કવિતા વાચા આપે છે. કવિતામાં ભૌગોલિક સીમાઓ ઓળંગવાની શક્તિ છે. તે વિવિધ સંસ્કળતિઓ વચ્ચે સેતુ બનીને માનવતાનો સંદેશ ફેલાવે છે. જ્યારે માણસ નિરાશામાં હોય, ત્યારે કવિતાની એક પંક્તિ તેને બેઠો કરવાની અને લડવાની હિંમત આપી શકે છે. કવિતા આપણને દુનિયાને એક નવી દ્રષ્ટિથી જોતા શીખવે છે. તે શીખવે છે કે જીવનના નાનામાં નાના પ્રસંગોમાં પણ સુંદરતા છુપાયેલી છે. એક ફૂલનું ખીલવું હોય કે પાનખરની વિદાય, કવિની નજરે બધું જ અર્થપૂર્ણ છે.
કવિતાઃ સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ-શબ્દોની શક્તિની ઉજવણી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.