જામનગર :રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે રૂ. ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ તથા જોડિયા ખાતે રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે આકાર પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા મેઘજીભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ નવીન પ્રકલ્પોના નિર્માણથી નાગરિકોની સુખકારીમાં વૃદ્ધિ થશે અને પરિવહનના નવા રૂટ ઉપલબ્ધ બનશે. એક સમયે ખખડધજ સ્થિતિમાં રહેલ એસ.ટી. નિગમે આજે કાયાપલટ કરી છે. આજે એ.સી., વોલ્વો અને સ્લીપર કોચ જેવી સુવિધાઓથી એસ.ટી. વધુ લોકભોગ્ય બની છે. સરકારના દ્રષ્ટિકોણને કારણે મહાનગરોના બસ સ્ટેશનો આજે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા થયા છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, એસ.ટી. વિભાગ કોઈ પણ કમાણીની અપેક્ષા વગર ગરીબ અને મધ્યમ વર્ગ માટે સલામત મુસાફરીનું માધ્યમ બન્યું છે, જેમાં વિદ્યાર્થી અને દિવ્યાંગ પાસ જેવી યોજનાઓ લાખો લોકોને સહાયરૂપ બની રહી છે.આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાએ સરકારની વિકાસલક્ષી કટિબદ્ધતાને બિરદાવી લોકોને આ જાહેર મિલકતોની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં જામનગર એસ.ટી. વિભાગીય નિયામક બી.સી.જાડેજાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ. કાથડ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, સભ્યો સર્વ ધરમશી ચનિયારા, પ્રવીણાબેન ચભાડીયા, લખધીરસિંહ જાડેજા, તેમજ આગેવાનો સર્વ ડો. વિનુભાઈ ભંડેરી, રમેશભાઈ મૂંગરા, ભવદીપ પંડ્યા, ડી.ડી. જીવાણી, અભિષેક પટવા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે મળેલી સહાય અંતર્ગત જામનગર એસ.ટી. વિભાગના ધ્રોલ મુકામે એક આધુનિક સુવિધાયુક્ત નવીન ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 34,239.34 ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે અને તેનો અંદાજિત ખર્ચ રૂ.663 લાખ (રૂ. 6.63 કરોડ) જેટલો થશે. આ વર્કશોપ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું હશે, જેમાં કુલ 1547.82 ચો.મી. માં બાંધકામ કરવામાં આવશે.આ નવીન ડેપોમાં વહીવટી અને ટેકનિકલ એમ બંને પ્રકારની સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, તેમજ સ્પેરપાર્ટ્સ માટે ટાયર, બેટરી, ઓઈલ અને ઈલેક્ટ્રિક માટે અલગ રૂમોની વ્યવસ્થા છે. બસોના મેઈન્ટેનન્સ માટે બે લોન્ગ પીટ અને એક યુ પીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર રૂમ અને આશરે 3986.35 ચો.મી. વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળ પર કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ અને મહિલાઓ માટે ટોઈલેટની સુવિધા સાથેનો લેડીઝ રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવશે.જોડીયા એસ.ટી.બસ સ્ટેશનની સવલતોરાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી. વિભાગના જોડીયા મુકામે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતા એક આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 4000.00 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે અને તેની કુલ અંદાજિત કિંમત રૂ. 535.00 લાખ (5.35 કરોડ)જેટલી થશે. આ બસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 540.00 ચો.મી. માં બાંધકામ થશે, જેમાં મુસાફરોની સુવિધા માટે 5 પ્લેટફોર્મ બનાવવામાં આવશે.મુસાફરોની સગવડ માટે અહીં 162.75 ચો.મી.નો વિશાળ વેઈટીંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ અને 4 વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી જરૂરિયાતો માટે કંટ્રોલર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ અને પાર્સલ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા મુસાફરો માટે અલગ લેડીઝ રેસ્ટ રૂમ (ટોઈલેટ સહિત) તથા પુરુષ અને સ્ત્રી મુસાફરો માટે અલગ શૌચાલય બ્લોકની સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટર માટે પણ શૌચાલય સાથેનો અલગ રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. બસ સ્ટેશનના સરક્યુલેશન વિસ્તારમાં 2630.00 ચો.મી. માં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા પૂરી પાડવામાં આવશે
જામનગરઃ આધુનિક એસટી ડેપો વર્કશોપ અને બસ સ્ટેશનનો પાયો નાખવામાં આવ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.