Achira News Logo
Achira News

માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી

Akila News
માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી
Full News
Share:

મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાંથી માતૃત્વને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક તરફ દુનિયાભરમાં માતાના પ્રેમ અને બલિદાનના કિસ્સાઓ સંભળાય છે, ત્યારે અહીં એક માતાએ પોતાના જ કાળજાના ત્રણ ટુકડાઓને રસ્તાની ફૂટપાથ પર નોંધારા છોડી દીધા હતા. ભૂખ્યા અને તરસ્યા આ બાળકો જ્યારે રસ્તા પર રડતા હતા, ત્યારે એક પરોપકારી મહિલાની નજર પડતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આ ત્રણેય બાળકો પોલીસના સંરક્ષણમાં છે અને તેમની માતાની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના સોમવારે સવારે ડોમ્બિવલી પશ્ચિમમાં આવેલી તુલસીરામ બંગલા સોસાયટી પાસે બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક મહિલા તેના ત્રણ નાના બાળકો સાથે ત્યાં આવી હતી. બાળકો ભૂખ્યા હોવાથી રડતા હતા, ત્યારે માતાએ "હું હમણાં જ તમારા માટે જમવાનું લઈને આવું છું" તેમ કહીને તેમને રસ્તા કિનારે બેસાડી દીધા હતા. જોકે, કલાકો વીતી જવા છતાં માતા પરત ન ફરતા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જ્યારે આ માસૂમ બાળકો રસ્તા પર રઝળતા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા જયશ્રી યાદવ નામના મહિલાની નજર તેમના પર પડી. બાળકોની ઉંમર અંદાજે એક, બે અને ત્રણ વર્ષની હોવાનું જણાય છે. બાળકોની વ્યાકુળતા જોઈ જયશ્રીબેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તરત જ ત્રણેય બાળકોને પોતાની પાસે લીધા, તેમને શાંત કર્યા અને વિષ્ણુ નગર પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવી. તેમની આ તત્પરતાને કારણે બાળકો સુરક્ષિત હાથોમાં પહોંચી શક્યા છે. વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રામ ચોપડેએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આર્થિક તંગી અથવા કૌટુંબિક ઝઘડાને કારણે માતાએ બાળકોનો ત્યાગ કર્યો હોય શકે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી તે મહિલાની ઓળખ થઈ શકે. આ ઘટનાએ સમગ્ર મુંબઈમાં ચર્ચા જગાવી છે અને લોકો માતાની આ ક્રૂરતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી | Achira News