Akila News✓
Mar 20, 2026, 09:51 AM


ભારતની પરમાણુ ઊર્જાની યાત્રાઃ ભૂતકાળ અને વર્તમાન દ્રષ્ટિકોણો વચ્ચેનો વિરોધાભાસ
રાજકોટ: ભારતની પરમાણુ ઊર્જા યાત્રા અને વર્તમાન સમયમાં તેમાં થઈ રહેલા ખાનગીકરણ તેમજ વિદેશી સહયોગના પ્રયાસો અંગે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને જાણીતા વૈજ્ઞાનિક પ્રો. અનામિક શાહે એક વિસ્તૃત લેખ થકી પ્રકાશ પાડ્યો છે. તેઓએ જવાહરલાલ નેહરુ અને ડો. હોમી જે. ભાભાની દીર્ઘદ્રષ્ટિથી લઈને આજના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' વચ્ચેના વિરોધાભાસ અંગે સચોટ વિશ્લેષણ રજૂ કર્યું છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ આઝાદી પછી નહિ, પરંતુ ગુલામીના અંતિમ વર્ષોમાં જ શરૂ થઈ ગયો હતો. વર્ષ ૧૯૮૯ના 'નેહરુ ઓન સાયન્સ એન્ડ સોસાયટી'ના દિલ્હી સ્થિત અભિલેખો દર્શાવે છે કે, વચગાળાની સરકારના વડા તરીકે નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને ત્રાવણકોર રાજ્યમાંથી 'થોરિયમ'ની નિકાસ અંગે ચેતવણી આપી હતી અને આ અતિમહત્વની ધાતુ ભારતમાં જ રહેવી જોઈએ તેવો સ્પષ્ટ આગ્રહ રાખ્યો હતો. નેહરુજીનું માનવું હતું કે ટેકનિકલ અને વૈજ્ઞાનિક સ્વાયત્તતા વિના રાજકીય આઝાદી અધૂરી છે. આઝાદી બાદ ડો. હોમી જે. ભાભા સાથે મળીને નેહરુએ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત વ્યૂહાત્મક ઢાંચો તૈયાર કર્યો હતો. જેમાં ઈંધણ-ટેકનોલોજી પર નિયંત્રણ, સ્વદેશી ક્ષમતા, દીર્ઘકાલીન ઊર્જા સુરક્ષા અને સામાજિક-આર્થિક વિકાસનો સમાવેશ થતો હતો. ડો. ભાભાની ત્રિ-સ્તરીય પરમાણુ યોજના મુજબ પ્રથમ તબક્કામાં પ્રેસરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (પીએચડબલ્યુઆર), બીજા તબક્કામાં ફાસ્ટ બ્રીડર રિએક્ટર (એફબીઆર) અને ત્રીજા તબક્કામાં અદ્યતન થોરિયમ રિએક્ટર થકી પેઢીઓ માટેની ઊર્જા સુરક્ષાનું આયોજન કરાયું હતું. પ્રો. શાહ નોંધે છે કે નેહરુની આ સ્વદેશી ઊર્જાની વિચારધારા ઐતિહાસિક રીતે સાચી સાબિત થઈ છે. ૧૯૪૭-૧૯૫૦ની ઈંધણ તંગી, ૧૯૭૩નું ઓપેક તેલ સંકટ, ૧૯૭૯ની ઈરાની ક્રાંતિ અને ૧૯૯૦-૧૯૯૧ના ગલ્ફ સંકટ જેવી વૈશ્વિક ઘટનાઓએ સાબિત કર્યું કે વિદેશી ઊર્જા પરનો આધાર જોખમી છે. આજે પણ ભારત કાચા તેલ માટે ૮૫ થી ૮૮ ટકા, પ્રાકૃતિક વાયુ માટે ૪૫ થી ૫૦ ટકા અને કોલસા માટે ૨૦ થી ૨૫ ટકા જેટલો ઊંચો આયાત આધાર ધરાવે છે, જેનો વાર્ષિક ખર્ચ ૧૨૦ થી ૧૬૦ બિલિયન છે. પરમાણુ ઊર્જા ઉચ્ચ ઊર્જા ઘનતા ધરાવતી હોવાથી આયાત નિર્ભરતા ઘટાડી શકે છે. વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ દેશના કુલ વીજ ઉત્પાદનમાં કોલસાનો ૭૦ ટકા, નવીનીકરણીય ઉર્જાનો ૨૨ ટકા અને જળવિદ્યુતનો ૧૦ ટકા હિસ્સો છે, જ્યારે પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર ૩ ટકા છે.
11 shares
😐




